ખલસનાતન વિચારધારા- Pseudo Hinduism
27/12/2021 Leave a comment
આજકાલ કહેવાતા હિંદુ વિચારકોને કોઈક અલગ જ પ્રકારનું શૂળ ઉપડ્યું છે, આપણા એટલે કે સનાતન તહેવારોને પશ્ચિમની ઢબે ઉજવવાનું કહેવાનું અને પશ્ચિમના એટલે કે ખ્રિસ્તી ધર્મના તહેવારો ને સનાતન સંસ્કૃતિ સાથે બળાત્કારે જોડી એ પ્રકારે ઉજવણી કરવાનું આહ્વાન કરવાનું શૂળ. હજી બે દિવસ પહેલા જ ખ્રિસ્તી નાતાલ એટલે કે ક્રિસમસનો તહેવાર ગયો જે ભારત તો શું યુરોપ અને યુ.કે.માં પણ ધાર્મિક તહેવાર તરીકે નહીં પણ સામાજીક તહેવાર તરીકે કે પછી એક વ્યાવસાયિક (Commercial) તહેવાર તરીકે વધુ ઉજવાય છે, ખાસ કરી ને યુ.કે. અને યુ.એસ.એ.માં. છેલ્લાં ૨-૩ વરસથી વોટ્સએપ પરના ધર્મધુરંધરો અને વિચારકોએ આપણા પવિત્ર છોડ તુલસીની સરખામણી ક્રિસમસ ટ્રી સાથે કરવા માંડી છે અને નાતાલ નજીક આવતા આ નીચે જોવા મળે છે એવા સંદેશાઓ ફરતા કરી મૂકે છે.



મારી તેમને (અને જો તમે પણ આવા સંદેશા ફરતા કર્યા હોય- “ફોરવર્ડેડ એઝ રિસિવ્ડ-Forwarded as Received” ડિસ્ક્લેમર સાથે પણ) એક જ વિનંતી છે કે મારા ભાઈઓ અને બહેનો, જો તમને ક્રિસમસ ઉજવવાનો એટલો જ શોખ છે તો ક્રિસમસ ટ્રી સાથે જ ઉજવો ને? નહિતર તમને કયો ભોજીયો ભાઈ આવી ને ગધાડી પકડાવી ગયો છે કે તમારે યેનકેન પ્રકારે નાતાલ ઉજવવું જ પડે? અને એ બધા કરતા પહેલા પ્રશ્ન તો એ છે કે, કોઈ તહેવાર ઉજવવો એટલે શું? દિવાળીના દિવસે મુસલમાનો ફટાકડા ફોડે તો તો તે શું હિંદુ થઈ જાય છે? કે હોળીમાં ખ્રિસ્તીઓ રંગ અને પાણીથી હોળી રમે તો તેમને તમે હિંદુ ગણવા માંડો છો? ના ને? તો પછી તમે ક્રિસમસ ઉપર ઘરમાં ક્રિસમસ ટ્રી મૂકી પણ દીધું તો તમે શું ખ્રિસ્તી થઈ ગયા? હા, એ વાત જૂદી છે ભારતમાં ખરેખર ક્રિસમસ ટ્રી ઘરમાં મૂકવું એ ફક્ત અને ફક્ત એક ઘેલછા છે. અહિં વિદેશમાં બાળકો તેમની શાળા-કોલેજોમાં, મિત્રોનાં ઘરે કે અમે વયસ્કો અમારી ઓફિસોમાં, દુકાનોમાં, શોપિંગસેન્ટરોમાં, ક્રિસમસ ટ્રી મૂકાતું અને સજાવાતું જોઈએ એટલે ખાસ કરી ને બાળકો માટે થઈ ને ઘરમાં ક્રિસમસ ટ્રી મૂકતા હોઈએ. પણ એ ફક્ત આનંદ માટે અને બાળકો આ વિદેશની ધરતીમાં પોતાને અન્ય કરતા અલગ ન સમજે કે ચારે બાજુ થતી ઉજવણી દરમ્યાન પોતે તે ઉજવણીમાંથી બાકાત રહ્યાનો અહેસાસ ન કરે તે માટે જ. ભારતમાં એવું ન બનવું જોઈએ કે Peer Pressureમાં લોકો ને ઘરમાં ક્રિસમસ ટ્રી ગોઠવવાની ફરજ પડે. ક્રિસમસ ટ્રીને બદલે જો ઉપરના ચિત્રોમાં જણાવ્યું છે તેમ તુલસીનો છોડ મૂકીએ અને તેની નીચે દીવો કરીએ (ખરેખર લોકો ક્યારેય ક્રિસમસ ટ્રીની નીચે મીણબત્તી સળગાવતા નથી) એટલે શું આપણે ક્રિસમસ ન ઉજવ્યું એમ કહેવાય? એ તો ઉલટાનું આપણે ક્રિસમસની ઉજવણીમાં શામેલ થયા એમ ગણાય. જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ અન્ય ધર્મના લોકોને વટલાવવાની પ્રવૃત્તિ આદરે છે ત્યારે તેઓ આ જ કામ કરે છે, લોકોને કહે છે કે તમારે તમારા રીતરિવાજ કે પ્રથાઓ છોડવાની જરુર નથી, ફક્ત ઈસુ ખ્રિસ્તને ભગવાન માનો. આજે પણ ગુજરાતમાં જે ગુજરાતી ખ્રિસ્તીઓ છે તેમાના મોટા ભાગનાને ઘરે નાતાલમાં લાડવા બને છે, નવા વર્ષ (૧લી જાન્યુઆરી)ના દિવસે કંસાર/લાપસી બને છે, ઘણા ખ્રિસ્તીઓ ક્રોસ સામે કે ઈસુના ફોટા/ચિત્રની સામે મીણબત્તી નહીં પણ દીવો કરતા હોય છે.
જ્યારે ખ્રિસ્તી ધર્મ યુ.કે.માં અને યુરોપમાં પ્રવેશ્યો ત્યારે અહિંના લોકો પેગન-Pegan ધર્મ પાળતા હતા, જે સનાતન-હિંદુ ધર્મને ઘણો મળતો આવતો ધર્મ હતો, જેમાં સૂર્ય, વર્ષા, ચંદ્ર જેવા કુદરતી દેવતાઓની ઉપાસના થતી અને અમુક હદે યજ્ઞ/હવન પણ થતા. એ પેગન લોકોનો મોટો તહેવાર ઉત્તરાયણ-Winter Solstice (૧૪મી જાન્યુઆરી નહીં, તે તો મકર સંક્રાંતિનો દિવસ છે. આ ઉત્તરાયણ એટલે ૨૧-૨૨ ડિસેમ્બર) હતો. જ્યારે સૂર્ય દક્ષિણ દિશામાં તેના ચરમ સ્થાને પહોંચી ગયો હોય છે અને પાછો ઉત્તર દિશા તરફ ખરવાની શરુઆત કરે છે તે દિવસને ઉત્તરાયણનો પ્રારંભ ગણવામાં આવે છે અને તે પછીના છ મહિના સુધી સૂર્ય ઉત્તર દિશામાં ક્રમશઃ તેના ટોચના બિંદુ સુધી ખસે રાખે છે. આ પેગન તહેવારની ઉજવણી જો બંધ કરાવે તો લોકો સહેલાઈથી ખ્રિસ્તી ધર્મ પાળવા તરફ ના ઢળતા એ કારણે (મોટા ભાગના ઇતિહાસકારોના મત મુજબ) એ પેગન તહેવારના દિવસને (અને શરુઆતમાં તો ઉજવણીને પણ) એમનો એમ રાખી ઇસુ ખ્રિસ્તનો જન્મ ૨૫ ડિસેમ્બરે થયો હતો તેવું જોડી નાખ્યું. આજે પણ (ખાસ કરી ને પ્રોટેસ્ટન્ટ) ખ્રિસ્તીઓનો એક એવો વર્ગ છે જે ઇસુનો જન્મ ડિસેમ્બરમાં નહીં પણ જુલાઇમાં થયો હતો તેમ દૃઢ પણે માને છે. જો તમે પણ ઇસુના જન્મની કથા સાંભળી/વાંચી હોય તો તમે સહજ જ સમજી શકો છો કે એ દિવસ શિયાળાનો તો હોઈ જ ન શકે. ખેર, તો વાત એમ છે કે ખ્રિસ્તી મિશનરીઓની આ તો જૂની અને જાણીતી ચાલ છે જેમાં તેઓ લોકો ને ખ્રિસ્તી તહેવાર તેમના (લોકોના) ધર્મ અને સમાજની માન્યતા પ્રમાણે મનાવવાની સલાહ આપે અને પછી લાગ જોઈ ને તેમને ખ્રિસ્તી બનાવી દે.
મેં મને એક બે ગ્રુપમાં જ્યારે આવા સંદેશા આવ્યા ત્યારે મેં અણગમો દર્શાવ્યો તો નીચે જુઓ છો એવી ચર્ચા થઈ, જેનો મને પ્રશ્ન કરનાય બેમાંથી એકેયએ જવાબ હજી આજે ૨૪ કલાકથી વધુ વિતી ગયા હોવા છતાં નથી આપ્યા, કેમકે તેમની પાસે કોઈ જવાબ છે જ નહી.



તો મિત્રો, જો તમે નાતાલની સવારે દેવળમાં જતા ન હોવ, આખા દિવસમાં ઈસુ ખ્રિસ્તને યાદ કરતા ન હોવ, ફક્ત આનંદપ્રમોદ માટે જ ક્રિસમસ ટ્રી મૂકતા હોવ તો ચિંતા કરશો નહિ, તમે એમ કરવાથી ખ્રિસ્તી થઈ જવાના નથી અને નથી તો તમે તમારા સનાતન ધર્મને કોઈ નુકસાન પહોંચાડવાના છો. હા, હું આ તહેવારને મારો અને સનાતન ધર્મનો તહેવાર માનતો નથી એટલે ઘેલો થઈ ને જેને ને તેને Merry Christmasના મેસેજો મોકલતો નથી. મારા ખ્રિસ્તી મિત્રો કે સહકર્મચારીઓને જ એવા સંદેશા મોકલું છું. હું તમને પણ એ સલાહ આપીશ કે એકબીજાને મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ કરવાની ઘેલછા જગાડવી નહી કેમકે એ તહેવાર તમારો નથી. શું તમે બકરા ઇદના દિવસે કે રમજાન ઇદના દિવસે તમારા હિંદુ મિત્રો અને સગાંસ્નેહીઓને ઈદ મુબારકના સંદેશા મોકલો છો? પટેટીના દિવસે Happy Patetiના સંદેશા મોકલો છો? ના ને? તો પછી ક્રિસમસના સંદેશા પણ ફક્ત ખ્રિસ્તીઓને મોકલો તે જ શોભે છે. તુલસીને દીવો કરવાનો બહુ શોખ થતો હોય તો ફક્ત ક્રિસમસ દરમ્યાન જ શું કામ, દરરોજ કરો ને? એમ કરવાથી તમારો સનાતન ધર્મ વધુ સારી રીતે આચરાશે.
આ તો થઈ પારકા તહેવારને સનાતન તહેવારનો રંગ આપવાની વાત. હવે કરું સનાતન તહેવારને આપણા સૌથી મોટા તહેવાર દિવાળીના તહેવારને ખ્રિસ્તી તહેવાર ક્રિસમસની જેમ ઉજવવાની સલાહ આપવાની. આ વર્ષે દિવાળી ઉપર એવો સંદેશો અને તેનો વિડિયો ફરતો થયો હતો કે દિવાળીની આગલી (કાળીચૌદસની) રાત્રે છાનાંછપનાં બાળકોના ઓશિકા નીચે પૈસા મૂકી દેવાના અથવા ઘરમાં એક ખૂણામાં કે નિયત જગ્યાએ (જેમકે ભગવાનના મંદિર પાસે) ભેટો મૂકી દેવાની અને દિવાળી ના દિવસે બાળકો ઊઠે ત્યારે એમને એમ કહેવાનું કે લક્ષ્મી માતા રાતના અંધારામાં આવી ને તેમના માટે રોકડ નાણું કે ભેટો મૂકી ગયા. શું આ પ્રથા તમને ખ્રિસ્તીઓના કાલ્પનિક પાત્ર સાંતા ક્લોઝ-Santa Clauseની વાર્તાથી કોઈ રીતે અલગ લાગે છે? જેમાં ખ્રિસ્તી/પશ્ચિમનાં બાળકો એમ માનતા હોય છે કે સાંતા રાતના અંધારામાં ઘરની ચિમનીમાંથી ઘુસી ને ક્રિસમસ ટ્રીની નીચે ભેટો મૂકી જાય છે. આપણી સંસ્કૃતિ એટલી તો સરસ છે કે એમાં આપણે આપણાં બાળકોને વડિલોને પગે લાગતા, વિનમ્ર થતા શીખવીએ છીએ અને એમના એ વિનય માટે થઈ ને તેમને લક્ષ્મી માતાની કૃપારુપ શુકનના પૈસા આપીએ છીએ. આપણી આવી સરસ પ્રથા બદલી ને તેને ખ્રિસ્તી પ્રથા બનાવવાની અને ખ્રિસ્તીઓના તહેવાર નાતાલને તુલસી દિવસ બનાવવાનો. આ બધા લોચા કયા પ્રકારના મગજમાંથી ઉત્પન્ન થતા હોય છે તે સમજાતું નથી.
આપના પ્રતિભાવ